ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તે યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. બધાની નજર ભારતીય ટીમની પસંદગી પર છે કારણ કે આ સમય દરમિયાન ટેસ્ટ કેપ્ટનની પણ જાહેરાત થવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, જેના કારણે ભારત આ ફોર્મેટમાં નવા કેપ્ટનની શોધમાં છે.
હવે ક્રિકબઝના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગીમાં વિલંબ થશે. પહેલા ટીમની પસંદગી 23 મેના રોજ થવાની હતી, પરંતુ જાહેરાત મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવશે. IPL થોડા દિવસ માટે મુલતવી રાખવાના અને પછી ફરી શરૂ થવાના કારણે, BCCI એ પોતાનો પ્લાન બદલી નાખ્યો છે.
બીજી તરફ, ઋષિકેશ કાનિટકર ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારત-A ટીમના મુખ્ય કોચ રહેશે. કાનિટકર ઉપરાંત, શુભદીપ ઘોષ (ફિલ્ડિંગ કોચ) અને ટ્રોય કુલી (બોલિંગ કોચ) પણ સપોર્ટ સ્ટાફનો ભાગ હશે. ભારત A ટીમ ઇંગ્લેન્ડમાં ત્રણ મેચ રમશે, જેમાં ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ અને ભારતીય સિનિયર ટીમ સામે એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચનો સમાવેશ થાય છે.
જોકે, એક વાત નક્કી છે કે ભારતીય ટીમ 6 જૂને ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર વિશે અગાઉ કહેવામાં આવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ જઈ શકે છે. પરંતુ હવે તે 6 જૂને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ સાથે જશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી 20 જૂનથી હેડિંગ્લીમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચથી શરૂ થશે.